તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી
તોરણવેરા પ્રાથમિક શાળામાં ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી.
તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક તરીકે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાને ધ્વજવંદન અને તિરંગો લહેરાવવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.
આ પ્રસંગે સરપંચશ્રી સુનિલભાઈ દાભડીયાએ ઉપસ્થિત મહેમાનો, આચાર્યશ્રી, શિક્ષકગણ, વડીલો, માતા-બહેનો, યુવાનો, ગ્રામજનો તથા શાળાના ભૂલકાઓને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દેશની આઝાદી માટે બલિદાન આપનાર અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને હૃદયપૂર્વક નમન કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો.
સરપંચશ્રીએ જણાવ્યું હતું કે ગામના વિકાસ માટે માત્ર સરપંચ જ જવાબદાર નથી, પરંતુ ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી જ ગામનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. રસ્તા, પીવાનું પાણી, સ્વચ્છતા, શિક્ષણ, આરોગ્ય, સ્ટ્રીટલાઇટ, વૃક્ષારોપણ તેમજ ખેડૂતો માટેની જરૂરી સુવિધાઓ અંગે સૌએ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
તેમણે યુવાનો અને વિદ્યાર્થીઓને ગામનું ભવિષ્ય ગણાવી સારું શિક્ષણ મેળવી ગામ તથા દેશનું નામ રોશન કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ સ્વચ્છતા જાળવવા, વૃક્ષો વાવવા, પાણી બચાવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.
અંતે તેમણે “એકતા હશે તો ગામ મજબૂત બનશે અને ગામ મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે”નો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમનું સમાપન “વંદે માતરમ્” અને “જય હિંદ”ના જયઘોષ સાથે થયું હતું. 🇮🇳

Comments
Post a Comment