KHERGAM TALUKA ના VAD MUKHYA PRATHAMIK SCHOOL ના પ્રતિષ્ઠિત શિક્ષક ગોવિંદભાઈ પટેલને ગૌરવપૂર્ણ વિદાય
ખેરગામ, તા. 5 મે 2026:
નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વાડ મુખ્ય પ્રાથમિક શાળાના કર્તવ્યનિષ્ઠ શિક્ષક શ્રી ગોવિંદભાઈ બાબરભાઈ પટેલના વયનિવૃત્તિ પ્રસંગે ભાવભીની વિદાય અને સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી પટેલે ૨૧ જૂન ૨૦૦૦ના રોજ પોતાની શિક્ષક કારકિર્દીની શરૂઆત કરી હતી અને ૩૧ મે ૨૦૨૬ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આશરે ૧૮ વર્ષની સેવા દરમિયાન તેમણે શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે માત્ર શૈક્ષણિક જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને નૈતિક મૂલ્યોનું પણ સિંચન કર્યું છે.
વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં તેમની સેવા દરમિયાન અનેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં સફળતા મેળવી છે. તેમની નિષ્ઠા, ધીરજ અને કાર્યપ્રતિની પ્રતિબદ્ધતા તેમને શિક્ષકવર્ગમાં પ્રેરણાસ્ત્રોત બનાવે છે.
શાળા કાર્ય ઉપરાંત તેમણે સંગઠનક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ૬ વર્ષ સુધી ખજાનચી તરીકે તેમજ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં ૪ વર્ષ સહમંત્રી તરીકે સેવા આપી શિક્ષકોના હિતમાં સક્રિય કામગીરી કરી છે.
સહજ, સરળ અને સેવાભાવી સ્વભાવ ધરાવતા શ્રી પટેલ વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ખૂબ લોકપ્રિય રહ્યા છે. તેમની નિવૃત્તિથી શિક્ષણક્ષેત્રે ખાલીપો સર્જાશે, પરંતુ તેમના મૂલ્યો અને આદર્શો ભવિષ્યમાં માર્ગદર્શનરૂપ બનશે.
આ પ્રસંગે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનીષભાઈ પરમાર, કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી અજુવેન્દ્ર પટેલ, ખજાનચી શ્રી ભાવેશકુમાર ટંડેલ, ગણદેવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશકુમાર ટંડેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, પૂર્વ પ્રમુખ શ્રી ફતેહસિંહ સોલંકી, ચીખલી ટીચર સોસાયટીના ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ, ખેરગામ બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ સહમંત્રી શ્રી હરેશભાઈ, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો વિજયભાઈ પટેલ, રાજેશભાઈ ચૌધરી, વિશાલસિંહ, વાડ માધ્યમિક શાળાના આચાર્યશ્રી, ગોવિંદભાઈ પટેલના ભાઈશ્રી મોહનભાઈ પટેલ, એસ.એમ.સીનાં અધ્યક્ષશ્રી,દિનેશભાઈ પટેલ, વાડ ગામના અગ્રણી આગેવાનશ્રી દિનેશભાઈ પટેલ તથા ચેતનભાઈ પટેલ વાડ શાળાના શિક્ષણવિદ્ જીવણભાઈ પટેલ, શાળા પરીવાર,તાલુકાના શિક્ષકો, કુટુંબીજનો, ગ્રામજનો તથા મિત્રમંડળ ઉપસ્થિત રહ્યા હતા.
સૌએ શ્રી ગોવિંદભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી તેમના સુખમય, આરોગ્યમય અને દીર્ઘાયુષ્ય જીવન માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.







