ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. : અભિનેતા રાજેશ કુમાર
અભિનેતા રાજેશ કુમારે ટેલિવિઝન સિટકોમ સારાભાઈ વર્સીસ સારાભાઈમાં રોસેશ સારાભાઈની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં જ રાજેશે અભિનયમાંથી હટી જવાના અને ખેતી પર ધ્યાન આપવાના નિર્ણય વિશે ખૂલીને વાત કરી છે. તેણે કહ્યું કે, તે શૉ બિઝનેસના આક્રમણથી કંટાળી ગયો હતો. તેને જે પ્રકારનું કામ મળી રહ્યું છે તે તેને પસંદ નથી. તેનાથી તે બિલકુલ સંતુષ્ટ ન હતો.
રાજેશ કુમારે કહ્યું કે યોગ્ય જાણકારી વિના નવા વ્યવસાયમાં પ્રવેશવું બિલકુલ સરળ નથી. કારણ કે થોડા જ વર્ષોમાં અભિનેતાએ જીવનની બચત ગુમાવી દીધી હતી. તાજેતરની વાતચીત દરમિયાન રાજેશે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭માં તેણે અભિનયમાંથી બીજું પગલું ભરવાનું નક્કી કર્યું હતું. તેણે તેના પિતાને કહ્યું કે તે તેની પૈતૃક જમીન પર કામ કરવા માંગે છે. તેના પિતા આ માટે સંમત થયા હતા.
આ રીતે આવ્યો ખેતી કરવાનો વિચાર...
પટનામાં જન્મેલા રાજેશના કહેવા પ્રમાણે, તે એકવાર ઝાડ નીચે બેઠો હતો. તે સમયે તેમને બર્મા ગામની સ્થિતિ સુધારવામાં મદદ કરવાનો વિચાર આવ્યો. ત્યાર બાદ જ્યારે હું ગામમાં પહોંચ્યો ત્યારે જોયું કે અહીં કોઈ સુવિધા નથી. પાણી અને વીજળીની કોઈ વ્યવસ્થા નથી. આ બાબતે મેં ગામને સ્માર્ટ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા. વીજળી અને પાણીની વ્યવસ્થા માટે અધિકારીઓને મળ્યા. પશુઓનું દૂધ દોહવું, ઘાસ કાપવું, ખેતીકામની સાથે સાથે હું ઘરના તમામ કામ પણ કરું છું.
રાજેશ સ્માર્ટ વિલેજ બનાવવા માંગે છે...
હાલમાં રાજેશ પટનાથી 125 કિમી દૂર બર્મા ગામમાં કામ કરી રહ્યો છે અને તેણે એક્ટિંગ ફિલ્ડથી પણ પોતાને દૂર કરી લીધા છે અને ગામને સ્માર્ટ વિલેજ બનાવવામાં વ્યસ્ત છે. આથી ખેતીની માહિતી આપવાની સાથે તેણે ખેતી પણ શરૂ કરી છે.
રાજેશ કુમારે કહ્યું, મને લાગ્યું કે હું એક અભિનેતા તરીકે વિકસિત નથી થઈ શક્યો. પરંતુ ખેતીની દુનિયામાં હું ખાલી કેનવાસવાળા ચિત્રકાર જેવો છું. આ રીતે મેં શરૂઆત કરી. મેં પાંચ વર્ષ સુધી ખેતીમાં સતત કામ કર્યું. મને દરેક પ્રકારનું નુકસાન થયું, જાણે કુદરત મારી સાથે રમત કરી રહી હતી. મેં ૨૦ એકર જમીનમાં ૧૫,૦૦૦ વૃક્ષો વાવ્યા અને તે બધા પૂરને કારણે ધોવાઈ ગયા. ચાર વર્ષ વીતી ગયા અને પછી મહામારી આવી.
મારી આર્થિક સ્થિતિ સારી ન હતી અને લૉકડાઉનને કારણે મારી બચત ખતમ થઈ ગઈ હતી. મારા ખિસ્સામાં કંઈ નહોતું અને મારા પર દેવું હતું, જેના કારણે દબાણ વધી રહ્યું હતું.
અભિનેતાએ કહ્યું કે આ દરમિયાન તેણે એક મહત્ત્વપૂર્ણ પાઠ શીખ્યો. રાજેશે કહ્યું, જે દિવસે તમે તમારા વિશે વિચારવાનું બંધ કરશો, તમે બીજા વિશે વિચારવાનું શરૂ કરશો અને ત્યારે જ અન્ય લોકો તમારા વિશે વિચારવાનું શરૂ કરશે. આ એક ચક્ર છે. જો તમારે કંઈક અર્થપૂર્ણ કરવું હોય તો તમારે તમારાથી આગળ વિચારવાનું શરૂ કરવું પડશે. તેણે કહ્યું કે, જ્યારે તેના બાળકો તેને એક અભિનેતા અને ખેડૂત તરીકે વર્ણવે છે ત્યારે તે ગર્વ અનુભવે છે.