ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દિલીપસિંહ ગોહિલના અવસાન થવાથી તેમનાં પુત્રો (વિજયસિંહ અને યોગેન્દ્રસિંહ)ને શોક સંદેશ પાઠવવામાં આવ્યો.
આપના પૂજ્ય પિતાજી દિલીપસિંહ સાહેબસિંહ ગોહિલના અવસાનના સમાચાર જાણી દુઃખની લાગણી અનુભવીએ છીએ, સૃષ્ટિની અંદર પ્રભુએ માનવસૃષ્ટિનું સર્જન કર્યું છે. માનવને લાગણીસભર બનાવી સમગ્ર સૃષ્ટિના સર્જનને સુંદરતા બક્ષવામાં કુદરતે ઉચ્ચ કોટિની ઉદારતા દાખવી છે. લાગણીઓ મળવાના કારણે માનવ સુખ-દુઃખની લાગણીઓ અનુભવે છે.
પ્રભુ સમકક્ષ આપણા જીવનની આ સંપત્તિ ફાની દુનિયા છોડી જાય ત્યારે ભારે વ્યથા અને દુઃખ પિડીત બનાય તે સ્વભાવિક છે. આપશ્રી તથા આપના પરિવારજનો આ વ્યથા અને દર્દ સહન કરી રહ્યા છો તે દુઃખના ભાગીદાર થવા ગુજરાતના લાખો પ્રાથમિક શિક્ષકો વતી આશ્વાસન આપીએ છીએ. સ્વર્ગસ્થ દિલીપસિંહભાઈ ગોહિલ ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે રહી પ્રાથમિક શિક્ષક સંઘનો પાયો મજબૂત બનાવવા તથા શિક્ષકોને ગૌરવવંતુ સ્થાન અપાવવામાં તેમનો ખૂબ ફાળો રહેલ છે તે બદલ તેમને વંદન કરીએ છીએ. ગુજરાતના પ્રાથમિક શિક્ષકો તેઓશ્રીને હરહંમેશ યાદ કરશે. સદ્ગત દિલીપસિંહ ગોહિલના આત્માને પ્રભુ ચિરશાંતિ બક્ષે તેવી ગુજરાતના લાખો શિક્ષકો વતી પ્રાર્થના સાથે. ૐ શાંતિ... શાંતિ... શાંતિ...
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ