Navsari : નવસારીની છાપરા પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક શ્રી રાજેશકુમાર ઝાલરિયાને ચિત્રકૂટ પારિતોષિકથી સન્માનિત.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પૂજ્યશ્રી મોરારિ બાપુ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં રાજ્યના 35 શ્રેષ્ઠ શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
નવસારી જિલ્લાની છાપરા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી રાજેશકુમાર અંબારામભાઈ ઝાલરિયાને કથાકાર મોરારીબાપુના હસ્તે વર્ષ ૨૦૨૩-૨૦૨૪ ચિત્રકૂટ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
શ્રી રાજેશકુમાર અંબારામભાઈ ઝાલરિયાએ સામાજીક યોગદાન, શાળામાં બાળકોની હાજરી, બાળકોની સ્વચ્છતા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકોની સામેલગીરી અને મેરીટમાં સામેલગીરી આવી વિશેષ સિધ્ધિઓ હાંસલ કરી છે. તેમની આ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને ચિત્રકૂટ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, સીતારામ બાપુ, ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ, આગેવાન ઘનશ્યામભાઈ પટેલ, સતીષભાઈ પટેલ સહિતના આગેવાનો, શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ચિત્રકુટ એવોર્ડ અંતર્ગત રાજેશકુમાર ઝાલરિયાએ સોશ્યલ મીડિયાની પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે "તા.૩૧-૦૧-૨૦૨૪નો દિવસ મારા માટે સદા અવિસ્મરણીય બની રહેશે. પવિત્ર ચિત્રકૂટધામના માંગલ્યમય ભાવાવરણમાં ડૂબકી લગાવીને આર્શદ્રષ્ટાશ્રી મોરારી બાપુ તથા શિક્ષણના જીવ એવા રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ પ્રાપ્ત કરીને હું ધન્યતાની લાગણી અનુભવું છું."
તેમણે બાળપણના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે "બાળપણમાં પપ્પાની આંગળી ઝાલીને નવસારીના જલાલપોરમાં બાપુની રામકથા સાંભળવા ગયા હતા તે ક્ષણો ફરી ઉજાગર થઈ. એજ નિર્દોષ હાસ્ય, નેત્રોમાં નભની વિશાળતા અને શિક્ષક ચેતનાની સરવાણી. જ્યારે શૂન્ય અંતર થયું ત્યારે વિચારો પણ શૂન્ય થઈ ગયા. બસ સ્મિત રેલાઈ ગયું."
આ ચિત્રકૂટ સન્માન માટે તેમણે લાયક સમજવા બદલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને નવસારી તાલુકા ઘટક સંઘનો આભાર વ્યક્ત કર્યો હતો.