ખેરગામની ભવાનીનગર સોસાયટીમાં નવયુવક નવરાત્રી મંડળ દ્વારા શરૂ થયેલ નવરાત્રી મહોત્સવનો શુભારંભ.
તારીખ ૧૫મી ઑક્ટોબરથી શરુ થતી નવરાત્રી મહોત્સવ ખેરગામની ભવાનીનગર સોસાયટી અને શાંતિનગર સોસાયટીનાં નવયુવક નવરાત્રી મંડળ દ્વારા ભવાનીનગર સોસાયટીના કોમન પ્લોટમાં ઉજવવાનું આયોજન કરાયું છે. નવરાત્રિના નવ દિવસ નવયુવક નવરાત્રી મંડળના દરેક ઘરનાં સભ્યો દ્વારા દરરોજ ૯-૦૦ કલાકે માતાજીની આરતી ઉતારવામાં આવશે. જેનાં પ્રથમ દિને ભવાનીનગર સોસાયટીના રહીશ (શિક્ષક)બાબુભાઈ એન.પટેલ અને તેમનાં પરિવારજનોએ માતાજીની આરતીનો લાભ લીધો હતો. આ નવરાત્રી ઉત્સવમાં ખેલૈયાઓ સરકારશ્રીની ગાઇડ લાઇનનુ પાલન કરી ઉજવણી કરશે. જેમાં બંને સોસાયટીના અબાલવૃદ્ધ સૌ કોઈ આ ઉત્સવમાં ભાગ લઈ માતાજીની આરાધના કરશે.
તારીખ: ૨૨-૧૦-૨૦૨૩ રવિવાર આઠમના દિને સામૂહિક આરતીનો કાર્યક્રમ ૯:૦૦ કલાકે તથા શાંતિ હોમનું આયોજન ૩:૦૦ કલાકે તેમજ તારીખ :૨૪-૧૦-૨ ૦૨૩નાં મંગળવાર દશેરાના દિને ૬:૦૦કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કરવા પાછળનો હેતુ બન્ને સોસાયટીના રહીશોમાં એકતા, સહકાર, કુટુંબભાવના પ્રસ્થાપિત થાય અને ભારતીય સંસ્કૃતિની જાળવણી કરવાનો છે. એવું સોસાયટીના આગેવાનોએ જણાવ્યું હતું.
આ 'નવરાત્રી મહોત્સવ' ઉજવણીની તૈયારી માટે સોસાયટીના આગેવાનો નટુભાઈ પટેલ, સંદીપભાઈ જયસવાલ, શૈલેષભાઈ આહિર અને મહેન્દ્રભાઈ પટેલ માર્ગદર્શન હેઠળ નવયુવક નવરાત્રી મંડળના યુવાનોએ અઠવાડિયાથી મહેનત કરી ગરબાનું મેદાન અને ડેકોરેશન તૈયાર કર્યું હતું.