દિવાળી એ અટારી ગામના લોકો માટે આનંદ નહીં શોકનો દિવસ.
દિવાળી ખૂશહાલી અને આનંદને પ્રગટ કરતો સૌથી મોટો તહેવાર છે. મીઠાઇ, ફટાકડા અને પરસ્પર મિલનનું પ્રતિક ગણાતા દિવાળીમાં લોકો ખૂબજ આનંદિત રહે છે. પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ઉત્તરપ્રદેશના મિરઝાપુર પાસે આવેલા અટારી ગામના લોકો દિવાળીએ શોક પ્રગટ કરે છે.
તેમના માટે દિવાળી દુખ પ્રગટ કરવાનો દિવસ છે. પ્રાપ્ત માહિતી અનુસાર અટારી ગામમાં ચૌહાણ સમુદાય સાથે સંબંધ ધરાવતા લોકો રહે છે. તેઓ પોતાને અંતિમ હિંદુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના વંશજ ગણાવે છે.
ચૌહાણ સમાજના લોકોનું માનવું છે કેદિપાવલીના દિવસે જ મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણ સાથે વિશ્વાસઘાત અને કપટ કર્યુ હતું. આથી પૃથ્વીરાજે પોતાનો જીવ ગુમાવવો પડયો હતો. લોકો આ ઘટનાને યાદ રાખીને ઘરમાં દીવડાં પ્રગટાવતા નથી.
ગામના વડીલોનું કહેવું છે કે તે સમયથી અમારા પૂર્વજ દિવાળી ઉજવતા નથી. અમે પણ તેનું પાલન કરીને દિવાળી ઉજવતા નથી. દિવાળીનો દિવસ અટારી ગામનાં લોકો માટે એક સામાન્ય દિવસ જ હોય છે. જો કે ગામ લોકો દેવ દિવાળીની ઉજવણી કરે છે અને દેવ દિવાળીએ દિવડાઓ પ્રગટાવીને ગામને અજવાળાથી ભરી દે છે.