વાંસદાના તોરણીયા ખાતે આદિવાસી સમાજે ડુંગરદેવની પૂજા કરી પૂર્વજોની પરંપરા જાળવી રાખવા નિર્ધાર કર્યો.
વાંસદા તાલુકાના ગોદાબારી ગામે આવેલા તોરણીયા ડુંગરની તળેટીમાં જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના નવસારી જિલ્લા સંસ્થા દ્વારા તોરણીયા ડુંગર ખાતે આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવવા માટે તોરણયા ડુંગર આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવમાં ડુંગરદેવની પૂજા કરવામાં આવી હતી અને પૂજા પદ્ધતિ પરંપરા વેશભૂષા ખાનપાન અને નૃત્યને જાળવવા માટે અને પૂર્વજોની મહાન પરંપરાઓને ઉજાગર રાખવા માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરેક સમાજનાવિવિધ વાજિંત્રો નૃત્ય વેશભૂષા સાથે ગોધાબારી હનુમાન મંદિરથી તોરણીયા ડુંગર સુધી ખૂબજ મોટી સંખ્યામાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ સાથે આજ દિવસે આદિવાસી સમાજના વ્યંજનો કોદરાની પેજી, તુવેરના બફાણા, ખાટીભાજીની દાળ, કોળા દાણાનું શાક, દેશી ચટણી, ઢેકળા, અડદની દાળ, નાગલી ચોખાના રોટલા,કોળાના પાનગા, કંદમૂળ દેશી ઔષધી અને ઉબાડયાનો સ્વાદ લોકોએ માણ્યો હતો.
આ પ્રોગ્રામમાં અખિલ ભારતીય જનજાતિ આશ્રમના ઉપાધ્યક્ષ સત્યેન્દ્ર છત્તીસગઢથી અહીં હાજર રહ્યા હતા. સાથે જ જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના લક્ષ્મણ મહારાજ, રતિ, મહેન્દ્ર, ડોક્ટર લોચન શાસ્ત્રી, ડોક્ટર નલીની,યોગેશ ગામીત, ફુલચંદ, છગન ઢિમર, ઠાકોર પટેલ, ભાઈકુ,સંજય તથા અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શ્રી હોસ્પિટલ રાણી ફળિયાના ડોક્ટર લોચન શાસ્ત્રીનું દાતા તરીકે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તોરણીયા ડુંગરની આસપાસ જેટલા પણ દેવો આવેલા હોય તેમની પૂજા કરવામાં આવી હતી.