વિદાય પ્રસંગે ધોરણ-8ના વિદ્યાર્થીઓની અનોખી ભેટ: શાળાને એરકુલર અર્પણ.
તા. 28/03/2026, શનિવારના રોજ વિદ્યામંદિર માછીઆવાસણમાં વિકાસ મંડળના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ પટેલના અધ્યક્ષપદ હેઠળ ધોરણ-8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન અને શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શાળાની યાદોને વાગોળી ભાવુક પળો અનુભવ્યા હતા.
કાર્યક્રમમાં ગણદેવી તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી ગીતાબેન પટેલ, એસ.એમ.સી. શિક્ષણવિદ નેમાભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ નીતાબેન પટેલ તેમજ ધોરણ-8ના વર્ગશિક્ષક દેવલભાઈ ટંડેલે વિદ્યાર્થીઓને શુભાશિષ આપતાં પ્રેરણાદાયક વક્તવ્યો આપ્યા હતા.
શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્રભાઈ ખલાસીએ વિદ્યાર્થીઓને ગમે તેવી પરિસ્થિતિમાં પણ શિક્ષણને નેવે ન મૂકતા પ્રગતિના માર્ગે સતત આગળ વધવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે વિકાસ મંડળના સભ્યો, એસ.એમ.સી. સભ્યો તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહી બાળકોને આશીર્વાદ આપ્યા હતા. વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેનું ઋણ વ્યક્ત કરવા માટે યાદગીરીરૂપે એરકુલર ભેટ આપ્યો હતો, જેનું ઉદ્ઘાટન પ્રવિણભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉપશિક્ષક ભાવેશભાઈ ખલાસી તથા શાળાપરિવારે સંભાળ્યું હતું.


