Surat (Mahuva) : સુરત જિલ્લા મહુવા તાલુકાનાં વાંસકૂઈ ગામે ગોળીગઢ બાપુની માનતા પૂરી કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં.
સુરત જિલ્લા મહુવા તાલુકાનાં વાંસકૂઈ ગામે પ્રતિવર્ષે ફાગણ સુદ હોળીનાં આગલા રવિવારે ગોળીગઢ બાપુની માનતા પૂરી કરવા શ્રદ્ધાળુઓ આવતા હોય છે.
ગોળીગઢ બાપાના મંદિરે આ એક જ દિવસે બાધા ચઢતી હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે.
લોકવાયકા મુજબ ગામમાં બે ભાઈઓ રહેતા હતા. તેઓ જ્યાં હાલ મંદિર છે તે જગ્યા પર ઢોર ચરાવવા માટે આવતા તેઓ આ જગ્યા પર બેસીને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગોના દર્દીઓને આયુર્વેદિક દવા આપતા હતા. તેમની દવાથી આવા રોગ દૂર થઈ જતાં હતા.
વર્ષો સુધી દવા આપ્યા બાદ એક ભાઈ હોળીની પહેલા આવતા રવિવારે મૃત્યુ પામ્યા અને ત્યારબાદ બીજાભાઈનું પણ બીજા વર્ષે હોળીના પહેલા રવિવારે જ મૃત્યુ થયું હતું. બંનેના મૃત્યુ બાદ ગ્રામજનોએ ત્યાં પાળીયા બનાવી પુજા અર્ચના શરૂ કરી હતી અને ગુમડા, ઓરી, અછબડા જેવા રોગ થાય તો બાધા માનતા રાખતા હતા. રોગ સારો થતાં જ લોકો અહી આવીને માનતા પૂરી કરી જતાં.
આ પરંપરાને લઈ સમગ્ર દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનતા માની હોળીના પહેલા રવિવારે ગોળીગઢ બાપુની માનતા પૂરી કરવા આવતા હોય છે.