સંત એકનાથજીને જીવમાત્ર ઉપર દયા અને સમતાનો ભાવ હતો. બાર વર્ષની ઉંમરે તેમને રામાયણ, મહાભારત અને ભાગવતનો અભ્યાસ કર્યો હતો. એકવાર તેઓ ક્યાંક બહાર જઈ રહ્યા હતા ત્યારે રસ્તા પર નીકળેલા સાપને લોકો મારી રહ્યા હતા. તેમને લોકોને અટકાવીને કહ્યું કે આ સાપ ક્યાં તમોને કરડવા આવે છે તે તો રસ્તો ઓળંગી રહ્યો છે. બસ સાપ જોયો નથી અને મારો છો! તે સાપ યોનિમાં જન્મ્યો છે તો શું થયું? તમે તેને મારશો નહી તો તે પણ તમોને નહી મારે, એને પોતાના જાનનું જોખમ લાગે તો ડરીને બચાવ માટે ડંખ મારે છે. સંતના વચનની અસર થઈ અને લોકોના ગળે વાત
ઉતરી અને સાપને જવા દીધો. કેટલાક દિવસ બાદ એકનાથજી અંધારામાં નદીએ સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા તે સમયે સાપ રસ્તા વચ્ચે ફેણ ચઢાવીને ઊભો રહી જાય છે. સંત એકનાથજીએ તેને હટાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ સાપ રસ્તામાંથી ખસ્યો જ નહીં તેથી તેઓ બીજા ઘાટે સ્નાન કરવા માટે જાય છે. સ્નાન કરી તેઓ પરત આવે છે તે સમયે અજવાળું થઈ ગયું હતું તેથી કુતૂહલવશ તેઓ જ્યાં સાપ હતો તે જગ્યાએ જાય છે તો ત્યાં સાપ નહોતો પણ જ્યાં સાપ હતો તે રસ્તાની આગળ વરસાદના લીધે મોટો ખાડો પડ્યો હતો. એકનાથજી ખાડામાં પડી ના જાય તે માટે તેમને પાછા વાળવા માટે સાપ રસ્તા વચ્ચે ફેણ ફેલાવી ઊભો રહી ગયો હતો. એકનાથજી સમજી ગયા કે જે સાપને લોકોના મારથી બચાવ્યો હતો તેણે જ પરોપકારનો બદલો વાળવા મને ખાડામાં પડતો બચાવી મારૂં રક્ષણ કર્યું છે.
કહ્યું છે કે દયા અને પરોપકાર હંમેશાં સારાં ફળ લઈને જ આવે છે. મૃત્યુ પછી કોઈ કહેવાનું નથી કે મને કંઇક આપો એટલે પરોપકાર ક૨વો એ જ જીવનનું ફળ છે. વામન ભગવાન બલિરાજાને ત્યાં દાન લેવા ગયા અને દાન લઈ તેના ઘેર પહેરો ભરવો પડ્યો હતો. જે દાન લે છે તે બંધનમાં પડે છે.
તહેવારનો દિવસ હોવાથી એક ભિખારી સવાર સવારમાં ભીખ માંગવા માટે નીકળે છે. ઘેરથી નીકળતાં પહેલાં તેને ધેરથી કેટલાક ચોખા પોતાની ઝોળીમાં નાખે છે જેથી બીજાને ખબર પડે કે આ ભિખારીને બીજાએ ભિક્ષા આપી છે. રસ્તામાં તેને રથમાં સવાર રાજા મળે છે અને ભિખારી વિચાર કરે છે કે આજે મારૂં નસીબ સારૂં છે કે મને રાજાના દર્શન થયા છે રાજા અવશ્ય મને સારી ભિક્ષા આપશે ત્યાં જ રાજાનો રથ તેની નજીક આવીને ઉભો રહે છે, ભિખારી
મનમાં આવો વિચાર કરે છે ત્યાં જ રાજા રથમાંથી નીચે ઉતરીને એક યાચકની જેમ ભિખારી સામે ઉભા રહીને ભિક્ષા આપવા યાચના કરે છે. રાજા કહે છે આજે રાજ્ય ઉપર બહુ મોટું સંકટ આવ્યું છે અને જ્યોતિષે મને કહ્યું છે કે આ સંકટથી બચવા માટે તમારે તમામનો ત્યાગ કરીને એક યાચકની જેમ ભિક્ષા માંગવાની છે જેનાથી રાજ્ય ઉપર આવેલ સંકટ દૂર થઈ જશે. રાજા ભિખારીને કહે છે કે સૌથી પહેલાં આપ મને રસ્તામાં સામા મળ્યા છો એટલે હું તમારી પાસે ભિક્ષા માંગુ છું. જો તમે ના પાડશો તો રાજ્ય ઉપર આવેલ સંકટ દૂર થઈ શકશે નહી એટલે આપ મને ભિક્ષા આપો.
ભિખારીએ તો પોતાના સમગ્ર જીવન દરમ્યાન બીજાઓ પાસેથી ફક્ત માંગીને જ ખાધું હતું, ક્યારેય કોઈને કંઇ આપ્યું તો હતું નહી એટલે વિચાર કરે છે કે કેવો સમય આવ્યો છે? રાજા આજે એક ભિખારી સામે માંગવા ઉભા છે. . ! એટલે તેમને ના પણ કહી શકતો નથી. કચવાતા મને ભિખારીએ પોતાની ઝોળીમાંથી એક મુઠી ચોખાના દાણા કાઠીને રાજાને આપે છે. રાજા ભિખારી પાસેથી મળેલ ચોખા લઈને આગળ ભિક્ષા માટે જાય છે તો પ્રજાજનો રાજાને ઘણી બધી ભિક્ષા આપે છે.
સાંજના સમયે ભિખારી ઘેર આવે છે ત્યારે તેની પત્ની ઝોળી પલટાવીને જુવે છે તો એક મુઠી સોનાના દાણા જુવે છે અને ભિખારી આ વાત જાણે છે ત્યારે ભિખારી છાતી પીટીને રડે છે અને રાજા સાથે બનેલ સમગ્ર ઘટના પત્નીને સંભળાવે છે ત્યારે ભિખારીની પત્ની સમજાવે છે કે તમોને ખબર નથી પરંતુ સત્ય એ છે કે અમે જે દાન આપીએ છીએ તે જ સાચું સોનું છે અને અમે જે કંઇ ભેગું કરીએ છીએ
તે તો કાયમના માટે માટી બની જાય છે. તે દિવસથી ભિખારીએ ભીખ માંગવાનું બંધ કરીને મહેનત કરીને પોતાના પરીવારનું ભરણપોષણ ક૨વા લાગ્યો. અત્યાર સુધી જે બીજાઓની આગળ હાથ ફેંલાવીને ભીખ માંગતો હતો તે આજે ખુલ્લા હાથે બીજાઓને દાન પુણ્ય કરવા લાગ્યો. ધીરેધીરે તેના દિવસો બદલાવા લાગ્યા અને જે લોકો તેની સાથે સબંધ રાખવા માંગતા ન હતા તે સર્વે તેની નજીક ન આવવા લાગ્યા અને તે ભિખારીની જગ્યાએ દાનવીર કહેવાયો.
જે મનુષ્યની પ્રવૃત્તિ આપવાનીહોય છે તેને ક્યારેય કોઈપણ ચીજ વસ્તુઓની કમી રહેતી નથી અને જે હંમેશાં લેવાની જ ભાવના રાખે છે તેને કશું જ મળતું નથી. આપણે શુધ્ધ સાત્વિક આહાર, સેવા સુમિરણ સત્સંગથી, પ્રભુ પરમાત્માની નિષ્કામ ભક્તિથી, પ્રભુ પરમાત્માની કથા શ્રવણથી, પરોપકાર દાન અને સ્વાધ્યાય, વગેરેથી સારા સંસ્કાર લાવવાનો હંમેશાં પ્રયાસ કરવો જોઈએ. પ્રાણીઓની ઉપ૨ જન્મ- જન્માંતરના કર્મોની વાસના ભરેલી પડી છે તેથી હંમેશાં સત્કર્મો કરવાની ચેષ્ટા કરવી જોઈએ. તમામ પ્રાણીઓમાં પ્રભુ પરમાત્માનો વાસ છે આવો નિશ્ચય કરીને તમામની સેવા કરવાથી શરીર પવિત્ર બની જાય છે, દાન આપવાથી ધન પવિત્ર બની જાય છે અને પ્રભુ પરમાત્માનું ભજન કરવાથી અંતઃકરણ નિર્મળ બની જાય છે. પરોપકારમાં શરીરને ઘસાવો તે યજ્ઞ છે. સંપત્તિ આવે છે તેનો ઉપયોગ પરોપકારમાં કરજો કેમ કે પરોપકાર સામાન કોઈ ધર્મ નથી.
માણસે પોતાના સમયનો સદઉપયોગ દાન આપવામાં, પુણ્યકાર્યમાં અને શાસ્ત્રનો અભ્યાસ કરવામાં કરવો જોઈએ. જે કંઇ દાન આપવાના શુભ સંકલ્પની સ્ફુરણા થાય તેનો તુરંત જ અમલ કરી દેવો. કામના રહિત દાન એ જ યથાર્થ દાન છે. ભિખારી ભીખ માગવા આવતો નથી પણ આપણને ઉપદેશ આપવા આવે છે કે ગયા જન્મમાં મેં દાન આપ્યું નહિ તેથી મારી આ દશા થઈ છે માટે તમે પણ દાન નહિ આપો તો મારા જેવી દશા થશે.