વલસાડની સરકારી ઇજનેરી કોલેજમાં રાજ્યની વિવિધ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ફેકલ્ટી ડેવલપમેન્ટ તાલીમ યોજાઈ.
- ઇજનેરી અને ટેક્નોલોજી ક્ષેત્રે સાંપ્રત અને ભાવિ પ્રવાહોને અનુરૂપ શૈક્ષણિક અને ઈત્તર પ્રવૃતિઓ અંગે સજ્જ કરવા તાલીમ અપાઈ.
- આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ પર આધારિત આ તાલીમમાં કુલ ૬૦ લોકોએ ભાગ લીધો હતો.
વલસાડની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે. આ વિદ્યાર્થીઓને ઇજનેરી અને ટેક્નોલોજી ક્ષેત્રે સાંપ્રત અને ભાવિ પ્રવાહોને અનુરૂપ શૈક્ષણિક અને ઈત્તર પ્રવૃતિઓ સાથે સાંકળી શકાય તે હેતુસર ઇજનેરી ક્ષેત્રે કાર્યરત અધ્યાપકોને પણ તે મુજબ સજ્જ કરવા અત્યંત જરૂરી છે. આ બાબતને ધ્યાને લઇ વલસાડની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના AICTE Training and Learning Academy (ATAL) દ્વારા “આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ: એપ્લિકેશન ઇન મોડેલીંગ, પ્રોસેસ કંટ્રોલ એન્ડ ઓપ્ટિમાઇઝેશન” પર આધારિત એક અઠવાડીયાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ ઈજનેરી ક્ષેત્રે આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સની ઉપયોગીતા પર આધારિત હતી. કાર્યક્રમમાં તજજ્ઞો તરીકે ઉપસ્થિત દેશભરની IITs અને NITs જેવી ઈજનેરીની ખ્યાતનામ સંસ્થાઓ તેમજ રાજ્યની પ્રસિધ્દ્ધ ઇજનેરી ક્ષેત્રની સંસ્થાઓ જેવી કે એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ, પીડીઇયુ, ગાંધીનગર અને અન્ય સંસ્થાઓના પ્રોફેસરોએ વ્યાખ્યાન આપ્યા હતા. તાલીમ અંતર્ગત હેન્ડસ ઓન સેસન્સ પણ રાખવામાં આવ્યું હતું. જેથી તાલીમાર્થીઓએ મેળવેલા જ્ઞાનનું લેબોરેટરીસમાં નિરૂપણ થઇ શકે.
તાલીમ અંતર્ગત વલસાડની બાલાજી વેફર્સ કંપનીમાં દરેક તાલીમાર્થીને મુલાકાત કરાવી પ્લાન્ટ પર આર્ટીફેસીયલ ઈન્ટેલીજન્સનો ફૂડ ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે ઉપયોગનો લાઇવ ડેમો બતાવવામાં આવ્યો હતો. તાલીમમાં રાજ્યની ઈજનેરી કોલેજો અને પોલિટેકનિકોના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ મળીને ૬૦ તાલીમાર્થીઓને તાલીમ માટે પસંદ કરવમાં આવ્યા હતા. આમ, વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા આયોજિત આ તાલીમ ઈજનેરી ક્ષેત્રે કાર્યરત તથા વિવિધ વિદ્યાશાખાઓમાં શિક્ષણ અને રિસર્ચ સાથે સંકળાયેલા તાલીમાર્થીઓને ખુબ જ ઉપયોગી સાબિત થઈ હતી.
તાલીમમાં સંસ્થાના આચાર્ય ડૉ. વી. એસ. પુરાણીનાં માર્ગદર્શન હેઠળ કેમિકલ વિભાગનાં વડા ડૉ. એન. એમ. પટેલે તાલીમ કો-ઓર્ડિનેટર તરીકે તેમજ ડો. એન આર. વાઘેલાએ કો-ઓર્ડિનેટર તરીકે કામગીરી કરી હતી. કાર્યક્રમનાં સુચારૂ સંચાલન માટે પ્રો. રાહુલ પ્રજાપતિ, ડૉ. એસ. કે શ્રીવાસ્તવ, પ્રો. એ. આર. મગોદરા તેમજ પ્રો. ભાવિ પંડયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ટ્રેનીંગના મુખ્ય મહેમાનો તરીકે જગદીશ પરમાર, કૃષ્ણા ફાઇન કેમ વાપીના ડાયરેક્ટર તેમજ ડૉ. એચ. એમ. હિરપરા ડાયરેક્ટર, સીમી કેમિકલ્સ, વાપી હાજર રહ્યા હતા.
માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૮ જાન્યુઆરી