ચીખલી આદર્શ નિવાસી શાળાનું ગૌરવઃ બે વર્ષમાં ૧૬ વિદ્યાર્થિનીએ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો.
ચીખલી તાલુકાના ખુંધ ગામે કાર્યરત રાજય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ આવતી અનુસૂચિત જનજાતિ કલ્યાણની આદર્શ નિવાસી શાળા (એસ.ટી.) સાયન્સમાં વિવિધ જિલ્લાના વિદ્યાર્થીનીઓને રહેવા-જમવાની સુવિધા તો મળે જ છે સાથે અદ્યતન લાયબ્રેરી, લેબોરેટરી વિગેરે સુવિધા પૂરી પાડી અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
અહીં અંતરિયાળ, આદિવાસી વાલીઓ વિસ્તારમાંથી પોતાની દિકરીઓને વિશ્વાસથી અભ્યાસ માટે મૂકી જાય છે.આર્થિક સંકડામણ તથા દુર્ગમ વિસ્તારમાં શિક્ષણની અગવડતાને કારણે આદર્શ નિવાસી શાળામાંભણવા આવતી વ્હાલી દિકરીઓને શિક્ષણ, સંસ્કાર સિંચન, કેળવણી આપવાનું કાર્ય શિક્ષકો સતત કરે છે. જેને કારણે આદર્શ નિવાસી શાળા કન્યા કેળવણીની સફળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ મેડિકલ કોલેજમાં પ્રવેશ લઈને તબીબી ક્ષેત્રે અભ્યાસમાં જોડાઈ છે. જે નવસારી જિલ્લા માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી બાબત
છે. વર્ષ- ૨૦૨૧-૨૨માં આદર્શ નિવાસી શાળાની ૯ વિદ્યાર્થિનીઓ એમ.બી.બી.એસ. અને ૨ બી.એ.એમ.એસ.માં પ્રવેશ મેળવ્યો હતો. જયારે વર્ષ ૨૦૨૨-૨૩માં ૫ એમ.બી.બી. એસ.માં પ્રવેશ મેળવ્યો છે.
ત્યારે શાળાના કર્મઠ,ઉત્સાહી, અનુભવી, કુશળ આચાર્ય અને શિક્ષકો ગર્વ લે છે અને દિકરીઓને અભિનંદન પાઠવે છે.અભ્યાસુ દિકરીઓ પણ બેવડા ઉત્સાહથી અભ્યાસમાં પોતાની આવડત અને સખત મહેનતથી બોર્ડની પરીક્ષામાં ઉજળો દેખાવ કરી સફળતા મેળવી મનગમતા ક્ષેત્રમાં આગળ વધે છે.
અને ખાસ કરીને મેડીકલ જેવા કઠિન અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી વિદ્યાર્થીનીઓએ શાળા તેમજ જિલ્લા અને પરીવારનું નામ રોશન કર્યું છે.