ધોડિયા 'સમાજરત્ન' અશોકભાઈ કે. પટેલ

SB KHERGAM
0

    


'સમાજરત્ન' અશોકભાઈ કે. પટેલ

હાલમાં જ રાજય સરકારનાં અતિ મહત્વના વિભાગ માર્ગ અને મકાનના વિભાગના સચિવ તરીકે બઢતી મેળવી કુટુંબ સાથે સમગ્ર સમાજને ગૌરવ અપાવનાર 'પટેલ સાહેબ'ના હુલામણા નામથી પ્રચલિત શ્રી અશોકભાઈ ખંડુભાઈ પટેલ, જેમનું મુળ વતન રાનકુવા તા.ચીખલી છે. બી.ઈ.સીવીલ ની કારકિર્દીની શરૂઆત મદદનીશ ઇજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ભરૂચ ખાતેથી કરી હતી. ત્યારબાદ આસિ. એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર, માર્ગ અને મકાન પેટાવિભાગ કોડીનાર જી.જુનાગઢ ખાતે કામગીરી બજાવી હતી, ત્યાર બાદ કાર્યપાલક ઇજનેર અને ઉપસચિવ તરીકે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) માં ગાંધીનગર, રાજકોટ, સુરત, અમદાવાદ, અને વડોદરા ખાતે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ સરકારના માર્ગ અને મકાન વિભાગના અધિક સચિવ અને મુખ્ય ઈજનેર ના વિશિષ્ટ પદે ગાંધીનગર ખાતે કાર્યરત હતા. ચાલુ વર્ષે સમાજના પ્રથમ ઈજનેર, કે જેઓ ૨૦૨૩માં માર્ગ અને મકાન વિભાગના સૌથી વધુ જવાબદારી વાળી સચિવશ્રીની જગ્યાએ બઢતી મેળવી સતારૂઢ થયા હતા. જોકે એમની કાબેલિયત, ખંત અને આગવી કુનેહની કદર કરતાં આ પદના અધિકારી બન્યા અને કુટુંબની સાથે સાથે સમાજને પણ અનેરો ગૌરવ અપાવેલ છે. 

શ્રી એ.કે.પટેલનો મંડળની સ્થાપનાથી જ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર સાંપડતો રહ્યો. સમાજભવનના બાંધકામ વખતે એમનું યોગદાન મહત્તમ રહ્યું હતું. સંગઠન અને સમાજનું ઋણ અદા કરવાની ભાવનાથી વર્ષ ૨૦૧૩માં તેમના નેતૃત્વ હેઠળ સમાજનું પહેલું એવું અને તે પણ સમાજ સમર્પિત એવા એન્જિનિયરીંગ એસોશિયેશન ઓફ ધોડિયા સમાજની સ્થાપના થઈ એની સાથે જ જ્ઞાનકિરણ મંડળમાં નવી શકિતનો સંચાર થયો અને સમાજભવનની પ્રવૃતિ વેગવાન બની. સાથે જ આંતરીક રસ્તા, સ્ટ્રીટ લાઈટ, પાર્ટીપ્લોટ અને કમ્પાઉન્ડ વોલનું નિર્માણ થયું. સ્વભાવે મિતભાષી પરંતુ વ્યકિતગત મુલાકાત વખતે એમની સમાજ પ્રત્યેની ભાવના અનુભવવા મળી. સાથે જ કોઈ પણ કાર્યની શરૂઆત પછી આરંભથી અંત સુધી સતત સુક્ષ્મ નિરિક્ષણ અને સચોટ માર્ગદર્શન મંડળ માટે અમુલ્ય બની રહ્યું છે. પુસ્તક, પર્યાવરણ અને પ્રકૃતિના પૂજક હોય એની અસર એમના જીવનમાં પણ જોવા મળે છે. સચિવ જેવા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન હોવા છતાં એમની નમ્રતા વંદનીય છે. સાથેજ એમનો પુસ્તક પ્રત્યેનો લગાવ એમના અંગત પુસ્તકાલય જોઈ ને તેમના પ્રત્યે અહોભાવ પેદા થાય છે. શ્રી અશોકભાઈના માતૃશ્રી સ્વ.સવિતાબેન પણ સમાજ પ્રત્યે ઉદાર ભાવના ધરાવતા હતા અને સમાજની તમામ પ્રવૃત્તિઓમાં ખૂબ ઉત્સાહથી ભાગ લેતા હતા. આપણા 'સમાજરત્ન' એવા શ્રી અશોકભાઈની સિધ્ધિને બિરદાવીએ. સમાજ તરફ થી અઢળક શુભેચ્છાઓ અને દીર્ઘાયુ માટે પ્રભુ વંદના.

માહિતી સ્રોત: શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સુરખાઈ 


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top