અયોધ્યાથી કેમેરા સમક્ષ આવી રામલલાની પ્રથમ પૂર્ણ તસવીર.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની તડામાર તૈયારીઓ વચ્ચે ભગવાન રામના ભવ્ય મંદિરમાં સ્થાપિત રામલલાની મૂર્તિની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ સાથે કાળા પથ્થરમાંથી બનેલી પ્રતિમાની અનેક વિશેષતાઓ સામે આવી છે. મૈસૂરના મૂર્તિકાર અરૂણ યોગીરાજે બનાવેલી આ પ્રતિમાની વિશેષતા એ છે કે તે એક જ પથ્થરમાંથી બનાવાઈ છે. એટલે કે તેમાં કોઈ બીજો પથ્થર જોડવામાં આવ્યો નથી. ભગવાન રામની આ પ્રતિમા અંદાજે ૪.૨૪ ફૂટ ઊંચી અને ત્રણ ફૂટ પહોળી છે. આ મૂર્તિમાં ભગવાન રામના પાંચ વર્ષનું બાળ સ્વરૂપ દર્શાવાયું છે. સાથે ભગવાન વિષ્ણુના ૧૦ અવતાર પણ દર્શાવાયા છે, જેમાં જમણી બાજુ મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન અને ડાબી બાજુ પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કીનો સમાવેશ થાય છે. આ સિવાય જમણી બાજુ નીચેની તરફ રામ ભક્ત હનુમાન તથા ડાબી ભગવાન વિષ્ણુના વાહન ગરુડની પ્રતિમા છે. વધુમાં સૂર્યવંશી ભગવાન રામની આ મૂર્તિમાં મુકુટની બાજુમાં સૂર્ય ભગવાન, શંખ, સ્વસ્તિક, ચક્ર અને ગદા જોવા મળે છે.